અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) દ્વારા ભારતને આપવામાં આવેલા ભંડોળ મોટું નિવેદન આપ્યું છે.તેમણે દાવો કર્યો છે કે, ‘ભારતની ચૂંટણી માટે અમેરિકા તરફથી 18 મિલિયન ડોલર (અંદાજે 150 કરોડ રૂપિયા) અપાયા હતા.’
CPACમાં ભાષણ આપતી વખતે ટ્રમ્પે શું કહ્યું?
કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સ (CPAC)માં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ‘અમે ચૂંટણી માટે ભારતને 18 મિલિયન ડોલર કેમ આપી રહ્યા છીએ? આપણે પોતે પેપર બેલેટ પર પાછા ફરવું જોઈએ અને ભારતને અમારી ચૂંટણીમાં મદદ કરવા દેવી જોઈએ. મતદાર ઓળખપત્ર ફરજિયાત હોવું જોઈએ. શું એ સારું નહીં હોય?
ભારત અમેરિકા પાસેથી ભારે ટેરિફ વસૂલે છે’
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ભારત અમેરિકા પર ભારે ટેરિફ વસૂલ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ‘ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંનો એક છે. જ્યારે આપણે કંઈક વેચવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે તેઓ 200% સુધીના ટેરિફ લાદે છે અને છતાં આપણે તેમને તેમની ચૂંટણી માટે પૈસા આપી રહ્યા છીએ.’
USAID ભંડોળ અંગે ભારતની પ્રતિક્રિયા
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી જે માહિતી બહાર આવી છે તે ચિંતાજનક છે. સરકાર આની તપાસ કરી રહી છે. જો આમાં કોઈ સત્ય હોય, તો દેશને એ જાણવાનો અધિકાર છે કે તેમાં કોણ કોણ સામેલ છે. USAIDને ભારતમાં સારું કામ કરવાની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ જો તેમાં કોઈ ખોટું કામ થઈ રહ્યું હોય, તો તેની તપાસ કરવાની જરૂર છે.’